Gujarat : અગ્નિવીરો માટે ખુશખબર: સરકારી નોકરીમાં 20% અનામતની મોટી જાહેરાત!

ગાંધીનગર: દેશની સરહદો પર શૌર્ય દાખવ્યા બાદ હવે ગુજરાતના અગ્નિવીરો માટે રાજ્ય સરકારની સેવામાં જોડાવાની સુવર્ણ તક આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક નિર્ણય લેતા પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.
🏃♂️ ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ અને ઉંમરમાં મોટી છૂટછાટ
Gujarat : સરકારે માત્ર અનામત જ નહીં, પરંતુ ભરતી પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. પૂર્વ અગ્નિવીરોને હવે સરકારી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટી (Physical Test) આપવી પડશે નહીં. આ ઉપરાંત, તેમને ઉપલી વય મર્યાદામાં પણ 3 વર્ષની છૂટ આપવામાં આવશે. ખાસ નોંધનીય બાબત એ છે કે, અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને વય મર્યાદામાં 5 વર્ષ સુધીની મોટી છૂટ મળવાપાત્ર થશે.
👮♂️ કયા વિભાગોમાં મળશે નોકરીની તક?
Gujarat : મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી અગ્નિવીરો નીચે મુજબના મહત્વના વિભાગોમાં જોડાઈ શકશે:
- પોલીસ દળ: હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર (PSI) અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ.
- SRP: પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલ.
- જેલ વિભાગ: જેલર ગૃપ-2 અને જેલ સિપાઈ.
- વન વિભાગ: વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) વર્ગ-3 અને વનપાલ વર્ગ-3.
Gujarat : આ નિર્ણયથી સેનામાંથી નિવૃત્ત થઈને આવતા શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ યુવાનોનો લાભ હવે ગુજરાતના સુરક્ષા અને વન વિભાગને સીધો જ મળશે. રાજ્ય સરકારનો આ અભિગમ અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવશે.
