ભોજશાળા હવે સત્તાવાર રીતે ‘સરસ્વતી મંદિર’: મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો! 🏛️
📜 રાજા ભોજની સંસ્કૃત પાઠશાળા કે મસ્જિદ? હાઈકોર્ટે પુરાવા જોઈને સંભળાવ્યો ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરતો ફેંસલો!
⚖️ ધાર ભોજશાળા વિવાદ: 25 દિવસની સુનાવણી અને 2000 પાનાનો સર્વે રિપોર્ટ, આખરે સત્યનો થયો વિજય!

ધાર (મધ્યપ્રદેશ): દાયકાઓથી ચાલી રહેલા ધારના વિવાદિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ વિવાદમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઇન્દોર બેંચના જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની ડિવિઝન બેંચે સ્પષ્ટ કર્યું છે કે ધારમાં આવેલું આ સંકુલ વાસ્તવમાં દેવી વાગ્દેવી (સરસ્વતી) નું મંદિર જ છે. આ સાથે જ કોર્ટે વર્ષ 2003માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આપવામાં આવેલા તે આદેશને રદ કરી દીધો છે, જેમાં મુસ્લિમ પક્ષને શુક્રવારે નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.
📜 ભોજશાળા : શું છે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો?
હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક દસ્તાવેજો, પુરાતત્વીય પુરાવાઓ અને સાહિત્યિક સંદર્ભો સાબિત કરે છે કે આ સ્મારકનું ધાર્મિક સ્વરૂપ સરસ્વતી મંદિરનું જ છે. આ સંકુલ પરમાર વંશના રાજા ભોજ સાથે જોડાયેલું છે, જેમણે ધારને સંસ્કૃત શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું કે, “અમે નોંધ્યું છે કે આ સ્થળ પર હિન્દુ પૂજા અવિરતપણે ચાલુ રહી છે, જે ક્યારેય સમાપ્ત થઈ નથી.”

હવેથી આ સંકુલમાં હિન્દુઓને પૂજા કરવાનો પૂર્ણ અધિકાર રહેશે. કોર્ટે ASIના 2003ના તે આદેશને સંપૂર્ણપણે બાજુ પર મૂકી દીધો છે જે હેઠળ અગાઉ હિન્દુઓ મંગળવારે પૂજા કરતા હતા અને મુસ્લિમો શુક્રવારે નમાઝ પઢતા હતા.
🔍 ASI ના 2000 પાનાના સર્વે રિપોર્ટે બદલી નાખ્યું ચિત્ર
ભોજશાળા : આ કેસમાં સૌથી વળાંક ત્યારે આવ્યો જ્યારે હાઈકોર્ટે આ સ્થળનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASI દ્વારા રજૂ કરવામાં આવેલો આ સર્વે રિપોર્ટ 2000 થી વધુ પાનાનો છે. આ રિપોર્ટમાં સંકુલની સ્થાપત્ય શૈલી, ત્યાંથી મળી આવેલા શિલાલેખો અને અન્ય ચીજવસ્તુઓનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ASI ના વકીલ અવિરલ ખરેએ જણાવ્યું હતું કે સર્વે સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે કરવામાં આવ્યો હતો, જેમાં સાબિત થયું કે આ સંરચના હિન્દુ મંદિરના અવશેષો પર જ બનેલી છે.

વાગ્દેવીની મૂર્તિ લંડનથી પરત લાવવાની હિલચાલ
હિન્દુ પક્ષ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી માં વાગ્દેવીની અસલી પ્રતિમા ભારત પરત લાવવામાં આવે. હાઈકોર્ટે આ માંગ પર ધ્યાન આપતા કેન્દ્ર સરકારને સૂચના આપી છે કે તેઓ આ મૂર્તિને પરત લાવવા માટે વિચારણા કરે અને જો શક્ય હોય તો તેને ફરીથી ભોજશાળા સંકુલમાં સ્થાપિત કરવાની દિશામાં પગલાં ભરે.
⚖️ મુસ્લિમ પક્ષ અને સામાજિક સમરસતા
ચુકાદા દરમિયાન કોર્ટે મુસ્લિમ પક્ષના ધાર્મિક અધિકારોનું પણ ધ્યાન રાખ્યું છે. બેંચે જણાવ્યું કે મધ્યપ્રદેશ સરકાર ધાર જિલ્લામાં મસ્જિદ બનાવવા માટે અન્ય યોગ્ય જગ્યાની ફાળવણી કરવા પર વિચાર કરી શકે છે, જો મૌલાના કમલુદ્દીન વેલ્ફેર સોસાયટી અથવા કોઈ નવી વક્ફ સંસ્થા દ્વારા અરજી કરવામાં આવે.

જોકે, આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ તેને બાબરી મસ્જિદના ચુકાદા જેવો ગણાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ આદેશને પલટી નાખશે.
🛡️ ધારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત
ચુકાદાને ધ્યાનમાં રાખીને ધાર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાજીવ રંજન મીનાએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

🔱 શા માટે ઐતિહાસિક છે આ દિવસ?
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને આને ‘ઐતિહાસિક જીત’ ગણાવી છે. તેમણે કહ્યું કે કોર્ટે સ્વીકાર્યું છે કે ભોજશાળા રાજા ભોજની ધરોહર છે. આ કેસની સુનાવણી 25 દિવસ સુધી ચાલી હતી અને અંદાજે 60 કલાક સુધી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ફલશ્રૃતિ : ભોજશાળાનો આ ચુકાદો માત્ર ધાર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના સાંસ્કૃતિક ઇતિહાસ માટે મહત્વનો છે. સત્ય અને પુરાવાઓના આધારે લેવાયેલા આ નિર્ણયથી વર્ષો જૂના વિવાદનો અંત આવવાની આશા છે. હવે જોવાનું એ રહેશે કે માં વાગ્દેવીની પ્રતિમા લંડનથી ક્યારે પરત આવે છે અને ભોજશાળા ફરી એકવાર સંસ્કૃત શિક્ષણ અને ભક્તિનું ધામ બને છે.
રાજકોટ : વિધર્મી હેડ કોન્સ્ટેબલે મા-દીકરીની ઈજ્જત લૂંટી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો