
🕊️Rakshabandhan : સારવારનો સંબંધ સામાજિક સીમાઓથી પર: ઈદ અને રક્ષાબંધનનો અનોખો સંગમ
Rakshabandhan : વર્તમાન સમયમાં જ્યારે સમાજમાં ક્યારેક ભેદભાવની દીવાલો જોવા મળે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાંથી સામાજિક સમરસતા, ભાઈચારા અને ડૉક્ટર-દર્દીના અતુટ વિશ્વાસનું એક અત્યંત પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. રક્ષાબંધન અને ઈદના પર્વ નિમિત્તે બિહારની ૧૪ વર્ષીય મુસ્લિમ દીકરી ઈકરા શેખે પોતાના સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલના કાંડા પર પ્રેમ અને કૃતજ્ઞતાની રાખડી બાંધીને સાબિત કરી દીધું છે કે માનવતાનો ધર્મ તમામ સીમાઓથી ઘણો ઉપર છે.
🔍 Rakshabandhan : અસહ્ય પીડા અને ખોટા નિદાનનો ભય: ઈકરાની દર્દનાક કહાની
Rakshabandhan : મૂળ બિહારની ઈકરા શેખ પોતાના મામા-મામી સાથે અમદાવાદમાં રહે છે. થોડા સમય પહેલાં તેને કમરમાં અસહ્ય અને સખત દુખાવો શરૂ થયો હતો. સામાન્ય દવાઓ લીધા પછી પણ કોઈ રાહત ન થતાં, પરિવારે અન્ય જગ્યાએ તપાસ કરાવી. ત્યાં કરવામાં આવેલા MRI રિપોર્ટના આધારે ડૉક્ટરોએ તેને ટીબી (TB) હોવાનું કહીને તાત્કાલિક કરોડરજ્જુની સર્જરી (સ્પાઈન સર્જરી) કરાવવાની સલાહ આપી દીધી હતી. આ સાંભળીને ગરીબ પરિવાર ભારે ગભરાઈ ગયો હતો. અંતે, સચોટ માર્ગદર્શનની આશા સાથે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ଗવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા જ્યાં ડાયરેક્ટર અને સિનિયર સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલે ઈકરાની તપાસ શરૂ કરી.

🩺 બાયોપ્સીની એક વૈજ્ઞાનિક સમજાવટ અને મોટો ખુલાસો
Rakshabandhan : ડૉ. પીયૂષ મિત્તલે પ્રાથમિક તપાસ બાદ સચોટ નિદાન માટે ‘બાયોપ્સી’ કરાવવાની સલાહ આપી. પરંતુ સામાન્ય રીતે લોકોમાં રહેલા ડરના કારણે, ઈકરાના પરિવારજનો ‘બાયોપ્સી’ શબ્દ સાંભળતા જ ગભરાઈ ગયા અને દીકરીને કોઈ ગંભીર બીમારી હોવાની આશંકાએ ટેસ્ટ કરાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેઓ ટીબીની સારવાર જ ચાલુ રાખવા માટે વિનંતી કરવા લાગ્યા.
જોકે, ડૉ. મિત્તલે પોતાના બહોળા તબીબી અનુભવ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ધૈર્ય રાખ્યું. તેમણે પરિવારને પ્રેમથી સમજાવ્યો કે સાચા નિદાન વિના સારવાર શરૂ કરવી જોખમી છે. તેમની સમજાવટથી પરિવારે છેવટે બાયોપ્સી માટે સંમતિ આપી. જ્યારે બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા! ઈકરાને કરોડરજ્જુનો કોઈ ટીબી નહોતો, પરંતુ ત્યાં ‘સ્યુડોમોનાસ’ બેક્ટેરિયાનું ઈન્ફેક્શન હતું.
કોઈ પણ ખોટી સર્જરી કે ટીબીની ભારે દવાઓ વિના, માત્ર સચોટ અને યોગ્ય એન્ટિબાયોટિક સારવાર શરૂ કરવામાં આવી અને જોતજોતામાં ઈકરાને દુખાવામાં રાહત થઈ ગઈ અને તે ઝડપથી સાજી થઈ ગઈ.

😭 ભાવુક ક્ષણો: “ડૉક્ટર સાહેબ મારા રક્ષક અને ભાઈ છે”
Rakshabandhan : પોતાને મળેલી આ નવી જિંદગી બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ૧૪ વર્ષની ઈકરા શેખ ભાવુક બની ગઈ હતી. તેણે જણાવ્યું, “ડોક્ટર સાહેબે મને ખોટા રસ્તે જતાં અને મોટી સર્જરીથી બચાવી લીધી. મને લાગતું હતું કે મને ટીબી છે, પણ ડૉ. મિત્તલે સાચું નિદાન કરીને મને નવી જિંદગી આપી છે. આ રક્ષાબંધનના ખાસ દિવસે તેમને રાખડી બાંધીને આભાર માનવો એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. ડૉ. પીયૂષભાઈ મારા માટે માત્ર ડૉક્ટર નથી, પરંતુ મારા સાચા રક્ષક અને ભાઈ સમાન છે.”
સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાયન્સ ક્લબ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત રક્ષાબંધન કાર્યક્રમમાં જ્યારે આ મુસ્લિમ દીકરીએ હિન્દુ ડૉક્ટરના કાંડા પર સ્નેહનું રક્ષાસૂત્ર બાંધ્યું, ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ હતી અને આખું વાતાવરણ ભાવસભર બની ગયું હતું.
🛡️ સુપરબગનો ભય અને ડૉ. પીયૂષ મિત્તલનો સમાજને મહત્વનો સંદેશ
Rakshabandhan : પોતાના આ હૃદયસ્પર્શી અનુભવને શેર કરતાં સિનિયર સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું કે, “જ્યારે કોઈ મુસ્લિમ દીકરી હિન્દુ ડૉક્ટરને ભાઈ માનીને રાખડી બાંધે છે, ત્યારે એ સામાજિક સમરસતાનું જીવંત ઉદાહરણ બને છે. તબીબી ક્ષેત્રે યોગ્ય તપાસ વિના સીધી જ એન્ટિબાયોટિક્સ આપવાથી સુપરબગ અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સનો ગંભીર ખતરો ઊભો થાય છે, જેના પર તાજેતરમાં સરકારે પણ ખૂબ ભાર મૂક્યો છે. અમે બાયોપ્સી કરીને મૂળ બેક્ટેરિયા શોધી શક્યા એટલે યોગ્ય સારવાર થઈ શકી. આજે ઈકરાએ રાખડી બાંધી ત્યારે મને ડૉક્ટર તરીકે નહીં, પણ એક ભાઈ તરીકે ખૂબ ગર્વ અનુભવાયો છે. ડૉક્ટર-દર્દીનો સંબંધ માત્ર દવા પૂરતો નથી પણ અતૂટ વિશ્વાસ અને માનવતાનો છે.”
ડૉ. મિત્તલે લોકોને ખાસ અપીલ કરી છે કે કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં તેના મૂળ સુધી જઈને ડૉક્ટરની સલાહ મુજબ લેબ ટેસ્ટ અને યોગ્ય તપાસ કરાવવી જ જોઈએ. તપાસ વગર કરાતી અધૂરી કે ખોટી સારવાર રોગને વધુ ગંભીર અને લાંબો બનાવી શકે છે.
આ હૃદયસ્પર્શી ઘટના સાબિત કરે છે કે વણાયેલા પ્રેમ અને રક્ષાના દોરાઓ ક્યારેય ધર્મના ભેદભાવને જોતા નથી.
SCST Act : અજીત ભારતી FIRથી સંતોષ વર્મા સુધી: SC-ST Act પર કેમ ગરમાઈ ચર્ચા?
